લોકોમાં કોરોના જાણે ભુલાઇ ગયો હોય તેમ કેટલાક નાગરિકો માસ્ક વગર બિન્દાસ ફરી રહ્યાં છે. તેમજ હજુ પણ કેટલાક લોકોએ કોરોના રસી લીધી નથી. તેઓ પોતાના જીવ સાથે બીજાના જીવ પણ જોખમમાં મુકી રહ્યાં છે. રાજ્ય સરકારે ગાઈડલાઈન સાથે નવરાત્રિની ઉજવણી તથા શેરી ગરબામાં 400 લોકોને ગરબા રમવાની છુટ આપી છે. પરંતુ અમદાવાદ શહેરમાં વેક્સિનેશનના પુરાવા સોસાયટીના આગેવાનો તથા ગરબા આયોજકોએ ગરબામાં આવતા લોકોના વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવા પડશે. શહેરમાં હવે બાકી રહેલા લોકો વેક્સિન લઈ લે તે માટે AMC અને પોલીસ વિભાગે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે. આગામી બે જ દિવસમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોના વેક્સિનેશનના પુરાવા ચેક કરવામાં આવશે.
તેમજ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોઇન્ટ ખાતે વાહન ચાલકોએ પોલીસને વેક્સિનના પુરાવા બતાવવા પડશે. જેમની પાસે નહીં હોય તેમને તરત જ નજીકના વેક્સિન સેન્ટર ખાતે લઈ જઈને રસી અપાવવામાં આવશે. અમદાવાદમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને 100% પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત બી.આર.ટી.એસ, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ સહિતની કોર્પોશનની બિલ્ડિંગમાં પ્રવેશ મેળવવા વેક્સિન ફરજિયાત છે.
હવે અમદાવાદમાં રહેતા 50 વર્ષથી ઉપરના લોકો અને 18 વર્ષથી ઉપરના દિવ્યાંગ લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ઘરે જઈ વેક્સિન આપશે. જેના માટે તેઓએ જાહેર કરેલા નંબર 6357094244, 6357094227 પર ફોન કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સવારે 9થી રાતે 9 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર ઓનલાઇન લિંક દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી આ સેવાનો લાભ લઈ શકશે.
સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી ચાલી રહી છે. તેની સાથે અમદાવાદમાં પણ રસી લેવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારોની સિઝન હોવાથી સરકારે રસી ફરજિયાત કરી છે. તે ઉપરાંત સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, બાગ બગીચા અને સિટી બસોમાં જનારા લોકોએ પોતે વેક્સિન લીધી છે તેવો પુરાવો સાથે રાખવો પડશે. નહીં તો તેમને પ્રવેશ મળશે નહીં.