આજથી શરૂં થનારા ગુજરાત વિધાનસભાના ટૂંકા શિયાળુસત્રના પ્રારંભે કૉંગ્રેસે વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને વિધાનસભા ઘેરાનું એલાન આપ્યું છે. જોકે, સરકાર દ્વારા કૉંગ્રેસની વિધાનસભા કૂચને મંજૂરી ન અપાઈ માટે પાટનગરમાં 1500 પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા છે. કૉંગ્રેસને વિરોધની મંજૂરી ન મળી હોવાથી મધરાત્રિએ વિપક્ષે કાર્યક્રમનું સ્થળ બદલ્યું છે.

પાટનગરમાં દરેક ચાર રસ્તે કૉંગ્રેસનો પરછમ લહેરાતો જોવા મળી રહ્યો છે. આજનો દિવસ ગાંધીનગરમાં હંગામાથી ભરપૂર રહે તેવી શક્યતા છે. જુદાજુદા લોકપ્રશ્નોના મુદ્દે આજે વિરોધપક્ષ સરકારને ઘેરવા જઈ રહ્યો છે. દરમિયાન વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાત્રે સોશિયલ મીડિયામાં લખ્યું કે ‘ભાજપ સરકાર ની જોહુકમી ને કારણે અગાઉ ડીપોઝીટ ભરી મળેલ મંજૂરી રદ કરતા સ્થળ ફેરફાર થયેલ છે.’
રાજ્યમાં અલગ અલગ શહેરમાં બનેલી દુષ્કર્મની ઘટના, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી, ખેડૂતોને પાક વીમાની સહાયતા અને તેમાં થયેલા છબરડાંઓ, ઉપરાંત રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહીતના મુદ્દે કૉંગ્રેસ સરકારને ઘેરશે. કૉંગ્રેસે રાજ્યભરમાંથી પક્ષના કાર્યકરોને ગાંધીનગર પહોંચવા માટે એલાન કર્યુ છે.

આ મુદ્દે કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે ‘ આજે મારા વિસ્તારમાંથી એવા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે જેને પેરાલિસિસ નો એટેક આવેલો છે. કૉંગ્રેસે પૈસા ભરી અને મંજૂરી માંગી હોવા છતાં ઘ-5થી કૉંગ્રેસ વિધાનસભા જવાની હતી પરંતુ મંજૂરી રદ થતા હવે સત્યાગ્રહ છાવણીથી કાર્યક્રમ આપવામાં આવશું. ”
વસોયાએ આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે ‘ સરકારી ઈશારે ચાલી રહેલા પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે સરકારે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવી જોઈએ. સરકારે ખેડૂતોને પાકનુકસાનીના મુદ્દે એક વિધે જેટલા રૂપિયાની સહાય આપવાનો આદેશ કર્યો છે એટલી સહાયમાં ખાતરની એક થેલી પણ નથી આવતી’
કૉંગ્રેસના કાર્યક્રમ વિશે પોલીસ બંદોબસ્ત વિશે માહિતી આપતા ગાંધીનગરના પોલીસ સુપરિટેન્ડન્ટ મયુર ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું ‘જે જગ્યાએ માથાકૂટ થઈ શકે તેમ છે ત્યાં તમામ પોલીસબંદોબસ્ત છે. કૉંગ્રેસ પક્ષને એક સ્થળે રહેવાની અને સભાની મંજૂરી અપાઈ છે. જો, કૉંગ્રેસને મળેલી મંજૂરી સિવાયનો કોઈ કાર્યક્રમ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમને માહિતી મળી હતી કે રાત્રે ગાંધીનગરમાં અસામાજિક તત્વોની એન્ટ્રી થઈ છે ત્યારે અમે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે.
