સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે નબળા પડેલા દેશના અર્થતંત્રને ફરીથી વેગવંતુ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ આશરે 20 લાખ કરોડ રૂપિયાનું હશે. તે દેશના જીડીપીના 10 ટકા જેટલી રકમ છે. આ પેકેજની જાહેરાત પછી લોકોમાં સવાલ થવા લાગ્યા છે કે, સરકાર આ પૈસા ક્યાંથી લાવશે ?

ઉધાર લેશે સરકાર
સરકારે ચાલુ નાણાંકીય વર્ષ માટે બજારમાંથી ઉધારી લેવાનું લક્ષ્ય વધારીને 12 લાખ કરોડ રૂપિયા કરી દીધું છે. મહત્વની વાત એ છે કે, સામાન્ય બજેટમાં તે માટેનું લક્ષ્ય 7.8 લાખ કરોડ રૂપિયા જ રાખવામાં આવ્યું હતું. જેથી, સરકાર આ વર્ષે વધારાના 4.2 લાખ કરોડ રૂપિયાની ઉધારી લેશે. પ્રથમ છ મહીનામાં 6 લાખ કરોડ રૂપિયા માર્કેટ ગિલ્ટ (બોન્ડ) દ્વારા એકત્રિત કરવામાં આવશે. આ પૈસાનો ઈકોનોમીને કોરોનાથી બચાવવા ઉપયોગ કરવામાં આવશે.

શું અસર થશે?
સરકાર માટે આ નાણાંકીય ખોટ ઘટાડવી એક મોટો પડકાર છે. જો કે, તેના માટે અનેક પ્રયત્નો પણ થઈ રહ્યા છે. જેમાં, પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ વધારવાથી સરકારી ખજાનામાં 1.4 લાખ કરોડ રૂપિયા આવશે. હાલ કાચા તેલની કિંમતોમાં ઐતિહાસિક ઘટાડો નોંધાઈ રહ્યો છે જેથી સરકાર માટે ટેક્સ લગાવવો વધુ સરળ બન્યો છે. તેનાથી સામાન્ય જનતાને પેટ્રોલ-ડીઝલ પર કોઈ રાહત નહીં મળે અને ભાવમાં ખાસ કોઈ ફરક નહીં આવે.
આ પણ વાંચો : આવતા અઠવાડિયે જાહેર થઇ શકે છે આર્થિક પેકેજ, આ લોકોને મળી શકે છે મોટી રાહત

રિઝર્વ બેંકની મળશે મદદ
આ સંકટની ઘડીએ રિઝવૅ બેંક પણ સરકારની મદદ કરશે. એક અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક પાસેથી 45 હજાર કરોડ રૂપિયાની મદદ લેવાની તૈયારી કરી છે. રિઝર્બ બેંક મોટા ભાગે કરન્સી અને સરકારી બોન્ડના ટ્રેડિંગ દ્વારા નફો કમાય છે. આ કમાણીનો એક હિસ્સો આરબીઆઈ પોતાના સંચાલન અને ઈમરજન્સી ફન્ડ તરીકે રાખે છે. ત્યાર બાદ બચેલી રકમ ડિવિડન્ડ તરીકે સરકારને મળે છે.
