શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે. મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક માન્યતા જગપ્રસિધ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્યાણભાવ જોવાય છે. ભકતોમાં અનેરું મહાત્મય ધરાવતું મહાશિવરાત્રી પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્ય જોઇ એવું કહેવાય છે. ભગવાન વિષ્ણુ – બ્રહ્મા વષા શ્રેષ્ઠતા અંગેનું વાકયુધ્ધ થતા તે યુધ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલીંગ તરીકે ત્યાં સ્થાપિતા થયા હતા.
ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા. પરંતુ લીંગનો તાગ મળ્યો નહી. જયારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્યો નહિ. આમ છતાં તેઓ ખોટુ બોલ્યા કે તેને લીંગનો તાગ મળી ગયો છે. આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગિ્નસ્તંભ (લીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમાં મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાંખ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીની પૂજા કરી હતી. બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું.

મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે. જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વીકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોના ઉપકારક છે. ભગવાન શ઼કરને અતિમાન કે અભિમાની મંજુર નથી.
33 કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પુરી ન કરી હતી. ‘વૈરાગ્ય શતક’ના રચયીતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો. સંત બન્યો, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જયાં સુધી રહયું ત્યાં સુધી ભગવાન શંકર દુર જ રહયા. ભકતને ભકિતનું જયાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભકિત, પુજા, ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમનિયમ છે.