કોરોનાના કેસો ઓછા થયા બાદ શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા દોઢ વર્ષથી ભણતર પર અસર પડ્યું હોવાના કારણે ધોરણ 6 થી ધોરણ 12 સુધીના ઓફલાઈન વર્ગો હવે શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે ધોરણ 1 થી ધોરણ 5 સુધીના વર્ગો શરૂ કરવા પર હજી કોઈ નિર્ણય આવી શક્યો નથી. સુરતની વાત કરીએ તો શહેરમાં પણ શાળાઓ હવે રાબેતા મુજબ શરૂ થઇ ગઈ છે.
જ્યાં સુધી વાત છે કોરોનાની તો અત્યારસુધી છેલ્લા એક મહિનામાં 15 થી વધારે બાળકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેવામાં જિલ્લા શિક્ષણધિકારીએ હવે બાળકોને કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવા સૂચના આપી છે. તેમણે શાળાના અકારહને હવે વિદ્યાર્થીઓને થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવા જણાવ્યું છે.
જો કોઈ વિદ્યાર્થી બીમાર હોય તો તેવા વિધાયર્થીઓને ઘરે મોકલવા અને તેઓને ઓનલાઇન એજ્યુકેશન આપવા જ જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ રીસેસ દરમ્યાન કે છુટ્ટી દરમ્યાન એકત્ર ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે. સ્કૂલ છૂટ્યા બાદ તમામ ક્લાસને સેનિટાઇઝ કરવાની સાથે ઠેર ઠેર હેન્ડ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવા પણ જણાવવામાં આવ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારી હવે દર મહિનાની પહેલી તારીખે સંકલન કરશે. જેમાં શાળાના આચાર્ય, શિક્ષક, સંચાલકો થી લઈને અલગ અલગ મંડળના પ્રતિનિધિઓ હાજર રહેશે. જેમાં વિદ્યાર્થીઓથી માંડીને શાળામાં આવતા શિક્ષકો અને સ્કૂલના પ્રશ્નોની ચર્ચા કરીને નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે.