લોકસભાની ચૂંટણી એક તરફ સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં 23 એપ્રિલના ચૂંટણી સમાપ્ત થઈ છે. ત્યારે હવે ગુજરાતમાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાવાની છે. જો કે આ અંગેનો અહેવાલ જાન્યુઆરીની શરૂઆતમાં જ પ્રસિદ્ધ કર્યો હતો. જે હવે સાચો પડી રહ્યો છે.
રાજ્યમાં ગત વર્ષે ચોમાસુ નબળું હતું અને નર્મદા ડેમ સહિતના જળાશયોમાં ઉપલબ્ધ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ નહીં થતાં સ્થિતિ વધુ વણસી છે. જોકે સરકાર અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનેક વખત દાવા કર્યા છે કે જૂન મહિના સુધી ગુજરાતમાં પાણીની કોઇ જ સમસ્યા નથી. જળાશયોમાં પાણીનો તો ઉપલબ્ધ છે માટે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.
ખાસ વાત એ છેકે મતદાન થયું એ દિવસ સુધી કે પછીના દિવસ સુધી પાણીની કોઇ જ બૂમ હતી નહીં. હવે છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી પાણીની સમસ્યા હોવાની ફરિયાદો ઊભી થઈ રહી છે. ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં પણ બહેનો એક બેડું પાણી ભરવા માટે લાંબી લાઈનમાં ઉભી રહે છે. સંખ્યાબંધ વિસ્તારોમાં ટેન્કરથી પાણી અપાઈ રહ્યું છે.
તો બીજી તરફ રાજ્યના આદિવાસી વિસ્તારો અને સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામોમાં પીવાનું પાણી ભરવા માટે મહિલાઓને બેથી પાંચ કિલોમીટર ચાલીને જવું પડે છે. મતદાન પૂર્ણ થયાના ચાર પાંચ દિવસની અંદર જ ગુજરાતમાં પાણીની કટોકટી કેમ ઉભી થઇ તે કોઈને સમજાતું નથી, કારણકે આ કટોકટી માત્ર ચાર પાંચ દિવસની નથી.
વાસ્તવમાં સરકારે પાણીની આવી કપરી પરિસ્થિતિ સર્જાશે એવી વાત લોકોથી છુપાવીને રાખી હતી. ચૂંટણી પહેલા જો આ વાત જાહેર થઈ જાય તો સરકારને મુશ્કેલી થાય તેમ હતી. આથી સરકારે ચૂંટણી સુધી કોઈ વિસ્તારમાં પાણીની તકલીફ ન પડે તે માટે ખૂબ જ ધ્યાન આપ્યું હતું અને તે માટેની તમામ વ્યવસ્થા પણ ગોઠવી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : આખરે ગુજરાતના ખેડૂતો સામે Pepsi Co. હાર્યું, શું હતી સમગ્ર ઘટના ?
લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી જીતવા માટે સરકારે આવી નીતિ અપનાવી જોઇએ નહીં પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવવું દુષ્કર થઈ ગયું છે ચોમાસા આડે હજુ દોઢ મહિનાની વાર છે. બીજીબાજુ મે મહિનાની કાળજાળ ગરમી પણ હજુ બાકી છે. જેથી આગામી દોઢથી બે મહિનાનો સમય ખૂબ જ કપરો સાબિત થવાનો છે.
હવે સરકાર શું કરે છે તે જોવું રહ્યું નાગરિકો જણાવે છે કે સરકારે લોકો સાથે છેતરપિંડી કરવાનું બંધ કરવું જોઈએ અને જે કઈ સ્થિતિ હોય તે સાચી જણાવી દેવી જોઈએ.
આ તરફ CM વિજય રૂપાણી ગઇકાલે પાણીના આયોજન અંગે પત્રકારોને માહિતી આપી છે. જેમાં નર્મદા કેનલની વાત આગળ કરી છે. ગુજરાતમાં ઉભા થયેલા જળસંકટના સંદર્ભમાં વાસ્તવમાં કેવી સ્થિતિ છે તેની માહિતી આપી અને તેમાં સરકારે પોતાનો બચાવ જ કરાવનો પ્રયાસ કર્યો છે.
મુખ્યપ્રધાને ત્યાં સુધી કહ્યું છે કે 31 જુલાઈ સુધી રાજ્યમાં દરેક લોકોને જરૂરી પાણી મળી રહેશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતના કુલ 204 જળાશયોમાં હવે પાણીનો જથ્થો ખૂટવા આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી છે. સરકાર હવે લોકોને પીવાનું પાણીનો કયો વિકલ્પ આપવા માગે છે અને આગામી દિવસો કેવા રહેશે તે મહત્વનું છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.