ગુજરાત રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ GSRTCમાં મુસાફરી, શાળા અને કોલેજમાં અભ્યાસ માટે આવે છે. આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાહત દરે પાસની સુવિધા આપવામાં આવે છે. જોકે, રાજ્યમાં આવા વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર મોટી ભેટ લઈને આવી છે. રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSTC)નો ફ્રી પાસ આપવામાં આવશે. રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને ટૂંકા અને લાંબા રૂટ માટે અભ્યાસ માટે આવનજાવન માટે ફ્રી એસટી બસ પાસની ભેટ આપવામાં આવી છે. રાજયના વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે બજેટમાં આ જોગવાઈ કરી છે.
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે આ બજેટમાં ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓનો વિચાર કરવામાં આવ્યો છે. શિક્ષણ જગતની વાત કરીએ તો હવે વિદ્યાર્થીની ભૂખ ઉઘડી છે. હવે દરેક વિદ્યાર્થી પોતાનું કેરિયર બનાવવા માગે છે. શહેરોના વિદ્યાર્થીને તો સુવિધા મળે છે પરંતુ ગામડાના વિદ્યાર્થીને સુવિધા મળતી નથી. આવા વિદ્યાર્થીઓ માટે ફ્રી એસટી પાસની વ્યવસ્થા કરવામાં આવશે.
ટૂંક સમયમાં મળશે લાગ
રાજ્યના વિદ્યાર્થીઓને આ ફ્રી બસ પાસનો લાભ આગામી શૈક્ષણિક સત્રથી આપવામાં આવશે. આ પાસનો લાભ કેવી રીતે મળશે તેના અંગે આગામી દિવસમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા સુચારુ રીતે આગવું આયોજન કરી અને તેની જાહેરાત કરવામાં આવશે. હાલ તો આ જાહેરાત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સમાન છે.
બોર્ડની પરીક્ષા બાદ વેકેશન
રાજ્યમાં આગામી સમયમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષા બાદ ધો.1-9ની કસોટીઓ પણ લેવામાં આવશે. એકબાજુ આંગણવાડીથી અનુસ્નાતક સુધીના તમામ અભ્યાસક્રમો હવે ઓફલાઇન ચાલી રહ્યા છે ત્યારે ઉનાળાના વેકેશનને પણ ગણતરીના દિવસો જ બાકી છે. આ વેકેશન બાદ ખૂલતા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ ફ્રી એસટી બસ પાસનો લાભ મેળવશે.