સુરતમાં મેટ્રોરેલનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જેના માટે હાલમાં જમીન મેળવવાનું કામ સરળ રીતે રહેતા તેના માટે જરૂરી 72 હેકટર પૈકી 68 હેકટર જગ્યા પ્રાપ્ત થઇ છે . મેટ્રો કોરીડોર માટે 2566 સ્થળ પર પાઇલિંગ કરવાનું હોય 367 જગ્યા પર પાઈલિંગની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે.
બીજી તરફ ખજોદ ડ્રીમસીટી પાસે પિલર ઉભા કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડવાના હેતુસર સુરત શહેરમાં મેટ્રો રેલ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરથાણાથી ડ્રીમસીટી ખજોદ અને ભેસાણથી સારોલી સુધીના બે રૂટ પર મેટ્રો દોડાવવામાં આવનાર છે. જેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ મેટ્રોરેલ પ્રોજેકટ અંગે જણાવ્યું હતું કે , મેટ્રો રેલ માટે 72 હેકટર જગ્યાની જરૂરીયાત છે. જે પૈકી 68 હેકટર જગ્યા મળી જતા કામગીરી ઝડપથી થઇ રહી છે. બાકીની 4 હેકટર જગ્યા પણ થોડા સમયમાં મળી જશે. મેટ્રોરેલ દોડાવવા માટે ડ્રીમ સીટી પાસે પિલર ઉભા કરવાનું કામ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ સાથે ડેપોનું કામ પણ આગળ વધી રહ્યું છે.

સુરતમાં એલિવેટેડ રૂટના પીલરના કન્સ્ટ્રક્શનનું કામ પણ શરૂ કરી દેવાયું છે. તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી માટે જરૂરી એવા ટનલ બોરીંગ મશીનના ટેસ્ટીંગની કામગીરી પણ પુર્ણ થઈ ચુકી છે. સાથે સાથે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના ફેઝ -1 તેમજ ફેઝ -2 ના તમામ રૂટ માટેના ટેન્ડરો પણ હવે બહાર પાડી દેવાયા છે .
વધુમાં તેમણે કહ્યું હતું કે , મેટ્રો કોરીડોર માટે 2566 સ્થળ પર પાઇલિગ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી 367 જગ્યા પર પાઇલિગનું કામ પુર્ણ કરી દેવામાં આવ્યું છે. જયારે 3381 જમીન પૈકી 985 જગ્યા પર પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે , ચોકબજારથી કામરેજ સુધી અંડરગ્રાઉન્ડ મેટ્રોરેલ દોડાવવામાં આવનાર હોય ટર્નલ બોરીગ મશીનથી ટુંક સમયમાં કામગીરી શરૂ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસાને પગલે કામગીરી અટવાય નહી તે માટે અંડરગ્રાઉન્ડ થનારી કામગીરી ઝડપથી પુર્ણ કરી દેવામાં આવશે એવુ મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.