સુરતમાં ડોનેટ લાઈફ દ્વારા દેશમાં સૌપ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં તેમના ફોટાવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” આપી અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલની શરૂઆત કરી છે. વલસાડના યોગ શિક્ષિકાના લિવરના દાનનું સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન આપ્યું હતું.

અંગદાનથી 5ને નવજીવન
ગત 30 સપ્ટેમ્બરના રોજ વલસાડમાં રોડ અકસ્માતમાં ઈજા પામેલા યોગ શિક્ષક સ્વ. રંજનબેન પ્રવીણભાઈ ચાવડા (ઉ.વ.40)ને બીજી ઓક્ટોબરના રોજ એપલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઈફના માધ્યમથી તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરતા રંજનબેનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. જેથી 5ને નવજીવન મળ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને સમાજ સેવક ગોવિંદ ધોળકિયામાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના હતી.
પ્રાર્થનાસભામાં સન્માન કરાયું
ગત 6 ઓક્ટોમ્બરના રોજ વલસાડ ખાતે અંગદાતા રંજનબેનની પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ અને ડોનેટ લાઈફની ટીમે રંજનબેનને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય લઇ પાંચ વ્યક્તિઓને નવુંજીવન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રાર્થના સભામાં ટપાલ વિભાગની અંગદાતા રંજનબેનના ફોટાવાળી “માય સ્ટેમ્પ” તેમના પરિવારજનોને તેમની યાદગીરીરૂપે આપવામાં આવી હતી. તદ્દઉપરાંત પ્રશસ્તિપત્ર આપી પરિવારજનોનું અંગદાનના કાર્યમાં તેમણે આપેલા સહયોગ બદલ સન્માન કરવામાં આવ્યું હતું.