ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓની નિષ્ક્રિયતા વચ્ચે કોરોનાકાળ-લોકડાઉનથી નાણાકીય સંકટ ભોગવતા નવા વેપારીઓને બેંકોના માથાભારે રિકવરી એજન્ટોથી બચાવવા છેવટે વેપાર ઉદ્યોગ સંગઠન મેદાનમાં ઉતર્યું છે. ભૂમાફીયા તથા વ્હાઈટ કોલર ગુંડાઓ માટે જે રીતે કાયદો લાવવામાં આવ્યો છે તેવી જ રીતે કાયદો હાથમાં લેતા લોન રિકવરી એજન્ટો માટે પણ કડક કાનૂની જોગવાઈ કરવાની માંગ ઉઠાવતા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને રાજયના ગૃહપ્રધાન સમક્ષ રજૂઆત કરી છે.

રાજયસભામાં સભ્ય વેપારીઓ ધરાવતા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને વર્તમાન કોરોનાકાળમાં નાના વેપારીઓની મુશ્કેલીનો મુદો ઉઠાવવા પહેલ કરી છે. કમનસીબે ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ ક્યારેય આ પ્રકારે વેપારી સંગઠનો સાથે લડતમાં જોડાતી નથી ત્યારે રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર પાઠવી ફેડરેશને રજૂઆત કરી છે કે પ્રવર્તમાન કોરોનાકાળમાં નાના-મધ્યમ વેપારીઓના ધંધાને વ્યાપક અસર છે. નાણાંકીય સંકટનો સામનો કરી રહ્યા છે. સરકારે લોન ચુકવણીમાં થોડો વખત રાહત આપી હતી તે પુર્ણ થઈ છે. ત્યારે લોન રિકવરી એજન્ટો નાના-મધ્યમ વર્ગની વાસ્તવિક સ્થિતિને લક્ષ્યમાં લીધા પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે.
કોરોનાકાળ અગાઉ પણ ધાકધમકીથી કાયદો હાથમાં લઈને નાણાં કઢાવવાના કિસ્સા નોંધાયા જ છે ત્યારે આ પ્રવૃતિઓમાં સરકારી દરમિયાનગીરી અનિવાર્ય થઈ પડી છે, અન્યથા વેપારી આલમ આકરા સંજોગોમાં મુકાઈ જશે. ઉઘરાણીખોરોની ધાકધમકીથી તેઓએ સામાજિક ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જવું પડે છે. વાહન, પર્સનલ કે અન્ય કોઈ પણ લોનની ચુકવણીમાં ઢીલના સંજોગોમાં ધાકધમકી આપીર્ને તેઓ સમાજમાં ભયનું વાતાવરણ સર્જી રહ્યા છે. ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યા અનુસાર બેંકોને લોન રિકવરી એજન્ટો નિમવાની રિઝર્વ બેંકે જ છુટ આપી છે. પરંતુ રિકવરી પ્રક્રિયા માટે નિશ્ચિત માર્ગદર્શિકા છે તેમાં પઠાણી ઉઘરાણી કે ધાકધમકીને કોઈ સ્થાન છે જ નહીં, પરંતુ નાના-મધ્યમવર્ગ પાસેથી રિકવરી એજન્ટો ગુંડાનું રૂપ ધારણ કરી ધાકધમકીથી જ નાણાં કઢાવી રહ્યા છે.
આ પણ વાંચો : NCB એ કોને કહેવું પડ્યું ઈમોશનલ કાર્ડ ન રમો
આ પ્રકારના સંજોગો નિવારવા રાજય સરકાર દરમિયાનગીરી કરે એ આવશ્યક છે. કાનૂની જોગવાઈ કરવા સાથોસાથ જ જરૂરી છે કે દરેક બેંકના રિકવરી એજન્ટો તથા તેમને સોંપવામાં આવતા કેસોનું પોલીસ સમક્ષ રજિસ્ટ્રેશન ફરજીયાત થાય અને ઉઘરાણી પ્રક્રિયા દરમ્યાન પોલીસની હાજરી ફરજીયાત બનાવવામાં આવે એટલે ધાકધમકી જેવી ઘટના ટાળી શકાય. રજૂઆતમાં એક પણ જણાવાયું છે કે, ધાકધમકીના સંજોગોમાં ફરિયાદ કરવા એક હેલ્પલાઈન ડેસ્ક ઉભુ કરવામાં આવે. આ પ્રકારના કાયદાકીય નિયમો લાગુ થવાના સંજોગોમાં જ ‘લોનશાર્ક’ કાબૂમાં આવી શકશે અને નાના વેપાર-ઉદ્યોગકારોને રાહત મળી શકશે.
