સુરત શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થવા પહેલાં વિવિધ રસ્તાઓ પર કામ ચાલી રહ્યું છે ત્યારે હવે કોટ વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની લાઈનના નવીનીકરણની કામગીરી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. જેને જોતાં સુરત રલેવે સ્ટેશન પાસેના સૂર્યપૂર ગરનાળાથી લાલ દરવાજા સુધીનો રસ્તો આગામી 10 મે સુધી બંધ રહેશે. તેમજ પીરછડી રોડ, કાંસકીવાડ સહિતના કોટ વિસ્તારની ગલીઓમાં પણ 30મી એપ્રિલ સુધી વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. જેને પગલે આ વિસ્તારમાં આગામી 20 – 25 દિવસ સુધી ટ્રાફિકને પગલે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે.
મનપાના હાઈડ્રોલિક વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર હાલમાં સેન્ટ્રલ ઝોનના કોટ વિસ્તારમાં રીહેબીલીટેશનની કામગીરી હેઠળ દાયકાઓ જુની પાણી અને ડ્રેનેજની લાઈનનું નેટવર્ક બદલવાની પહેલા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલથી પહેલા તબક્કાની કામગીરીના ભાગરૂપે લાલદરવાજા જંકશનથી રેશમ ભવન થઈ સૂર્યપુર ગરનાળા સુધી પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

કયા રસ્તાઓ રહેશે બંધ ?
વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ તરીકે સુર્યપુર ગરનાળાથી કતારગામ તરફ જવા માટે સુમુલ ડેરી રોડ જ્યારે પોદ્દાર આર્કેડ વૈશાલી થઈ અલ્કાપુરી બ્રિજ પર થઈ કતારગામ જવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી ચે. આ સિવાય લાલ દરવાજા જંકશન પર જવા માટે સુર્યપુર ગરનાળાથી રેલવે સ્ટેશન થઈ દિલ્હીગેટનો રસ્તો ખુલ્લો રહેશે.
આ પ્રમાણે પીરછડી રોડથી ગોળવાળા ચકલા થઈ કાંસકીવાડ ચાર રસ્તા તરફ જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે પીરછડી રોડ થઈ શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર થઈ જદાખાડી થઈ ભવાની માતાજી મંદિર થઈ રોયલ બેકરી થઈ કાંસકીવાડ, ચાર રસ્તા તરફ જઈ શકશે.
પાલિકાની કામગીરી દરમિયાન માળી ફળિયુ, મસ્કતિ હોસ્પીટલની ગલી પીરછડીરોડથી મસ્કતિ હોસ્પીટલ તરફ જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે પીરછડીરોડથી દારૂખાના રોડ થઈ રાજમાર્ગ થઈ મસ્કતી હોસ્પીટલ તરફ જઈ શકાશે. તે મુજબ મસ્કતી હોસ્પીટલથી ગોળવાડા ચકલા થઈ માળી ફળિયા થી પીરછડી રોડ તરફ રાજમાર્ગ થી ભાગળ ચાર રસ્તા થઈ પીરછડી રોડ તરફ જઈ શકશે. આ ઉપરાંત વાહન અને રાહદારીઓ અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ પણ કરી શકશે.
આવી જ રીતે બેગમપુરા મેઈન રોડ, પ્રગતિ સ્કૂલથી ફાલસાવાડી ચાર રસ્તા સુધી આવતા અને જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે પ્રગતિ સ્કૂલ થી નવાબવાડી રોડ થઈ બોબી રસ સેન્ટર થઈ સલાબતપુરા પંપીગ સ્ટેશન થઈ સલાબતપુરા મેઈન રોડ થઈ દાણાપીઠ મેઈન રોડ થઈ ગણેશ આમલેટ તરફ જઈ શકશે. તે મુજબ ગણેશ આમલેટ થી ફાલસાવાડી મેઈન રોડ થઈ સુરત ટોકીઝ પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક થઈ પ્રગતિ સ્કુલ તરફ જઈ શકાશે.