સુરતઃમંગળવારઃ- ભારત મોસમ વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં ઈરાન ઉપર સ્થિત સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધવાની સંભાવના હોઈ, તેની અસર હેઠળ આગામી દિવસોમાં સુરત જિલ્લામાં તા.20 થી 24મી એપ્રિલ દરમિયાન આકાશ વાદળછાયુ રહેવાની સંભાવના રહેલી છે. 21 અને 22 એપ્રિલે છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી હળવા વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત તા.21 થી 23એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડાની સંભાવના છે.
સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હેઠળ કાર્યરત કૃષિ હવામાન એકમના જણાવ્યાનુસાર તા.૨૨મી એપ્રિલે માંડવી અને માંગરોળ સિવાયના તમામ તાલુકામાં ભેજના પ્રમાણમાં ધટાડાની શકયતા રહેલી છે આ ઉપરાંત માંડવી અને માંગરોળ તાલુકામાં પવનની ઝડપ વધે રહેવાની સંભાવના છે.

ખેડૂતોએ શી કાળજી લેવીઃ
– કમોસમી વરસાદના કારણે પાકને નુકશાનથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક અથવા ઘાસચારો ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવો અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું.
– ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતા અટકાવવું.
– ફળપાકો અને શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોચાડવા, પાકોમાં ફળોની વીણી કરીને ફળઝાડોને પવન સમો રક્ષણ માટે ટેકો આપવાની વ્યવસ્થા કરવી.
– રાસાયણિક ખાતર કે નવું ખરીદેલ બિયારણ પલળે નહી તે મુજબ સુરક્ષિત રીતે ગોડાઉનમાં રાખવું. જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.