વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમિટ અને એક્ઝિબિશનનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણ ઉપસ્થિત રહેશે
૩૦ હજાર ચો.મી. વિસ્તારમાં ૯૫૦ સ્ટોલ: મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં ૫૦ ટકા રાહત અપાશે
યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ
સુરત:સોમવાર: સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે આગામી તા.૨૯ એપ્રિલથી ૧ મે દરમિયાન સરદારધામ દ્વારા ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨ યોજાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સમિટ અને એક્ઝિબિશનનું તા.૨૯મીએ સવારે ૧૧.૦૦ વાગ્યે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
સરદારધામ દ્વારા મિશન ૨૦૨૬ અંતર્ગત રાજ્ય સરકારના વાઈબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર બે વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ માં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તેમજ ૨૦૨૦માં હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવી હતી. જેની ભવ્ય સફળતા બાદ સુરતના સારસાણા ખાતે પણ સમિટ યોજાશે. જેમાં ૩૦ હજાર ચો.મી. વિસ્તારમાં ૯૫૦ સ્ટોલ રહેશે. જેમાં આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ અને ટેક્ષટાઈલ સહિતના ૧૫ થી વધુ સેક્ટરના ઉદ્યોગકારો એક્ઝિબિશનમાં ભાગ લેશે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં ૫૦ ટકા રાહત અપાશે.

સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ માધ્યમોને વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુરત એ ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેપિટલ તરીકે સુવિખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઈને આવેલ પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી ડાયમંડ, ટેક્ષટાઈલ્સ, રિયલ એસ્ટેટ તેમજ વિવિધ વ્યવસાયોમાં પ્રગતિ કરી છે, ત્યારે મિશન ૨૦૨૬ હેઠળ રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ છે.
તેમણે વધુમાં કહ્યું કે સમીટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય અને ડેરી વિભાગના મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ સહિત રાજ્ય સરકારના મંત્રીગણ સહિત ઉદ્યોગજગતના અગ્રણીઓ, બિઝનેસમેનો તેમજ દેશવિદેશમાંથી ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને ત્રણ દિવસ દરમિયાન ૧૫ થી વધુ સેશનમાં તજજ્ઞ વક્તાઓ, ટેકનોક્રેટ તેમજ યુવા સાહસિકો માર્ગદર્શન આપશે.
આ પ્રસંગે પાટીદાર અગ્રણી મનહરભાઈ સાસપરા અને મનિષભાઈ કાપડીયા, ગણપતભાઈ ધામેલીયા ઉપસ્થિત રહ્યાં હતા.